યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.
*
- ગઝલ -
મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?
હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી, હવે ભિન્નતાનું હું શું કરું ?
જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે,
કરી એકઠી જે મેં ઉમ્રભર, હવે એ મતાનુ હું શું કરું ?
છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો,
હું બહાર ઊભો વિચારતો, હવે ઉચ્ચતાનું હું શું કરું ?
હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું,
ભરી હાથ જે કરી દે અપંગ, એ સહાયતાનું હું શું કરું ?
મારું શ્રેય શું ? મારું ધ્યેય શું ? છે તને ખબર, છું હું બેખબર,
તું સજાગ છે, તું સચેત છે, તો સભાનતાનું હું શું કરું ?
તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે,
કે સમાનતાનો જ્યાં ભંગ હો, એ ઉદારતાનું હું શું કરું ?
ગઝલનાં દરેક શે’રમાં રદીફરૂપે પૂછાયેલો ‘હું શું કરું ?’
નો પ્રશ્ન દરેક વખતે ખૂબ જ ધારદાર લાગે છે અને થોડીવાર આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે…
જાણે કે બધા પ્રશ્નો આપણાં અંગત જ ન હોય ! વાતેય સાચી છે…
કોઈ એક માન્યતાને સત્યમાનીને આપણે જીન્દગીભર જીવ્યે રાખ્યું હોય અને
જ્યારે એ જ માન્યતાને ખોટી ઠેરવતું સત્ય આપણી સમક્ષ આવીને ઊભું રહે,
ત્યારે આપણે નથી એ સત્યને સહજતાથી સ્વીકારી શકતા કે નથી
એ માન્યતાને સહજ રીતે છોડી શકતા… અને ત્યારે ભીતર સર્જાયછે,
આવી જ ’હવે હું શું કરું’ ની કશ્મકશ…

ડૉ. રઈશ મનીઆરની મજાની રચના.